શિક્ષકને વિનંતી..
~~~~~~~~~~
જે ઝાડથી પંખીનો માળો ધબ દઇ તૂટી પડે,
એ ઝાડને શું થાય છે, એ પણ જરા શિખવાડજો.
અકબર,શિવાજી,શાહજહાં,રાણા કે પાણીપત પછી,
આકાશ પણ વંચાય છે, એ પણ જરા શિખવાડજો.
જો વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે,
તું કેમ છે.?-પુછાય છે, એ પણ જરા શિખવાડજો.
સોમાંથી છન્નુ લાવવાની જીદ કરે જયારે બધા,
શૈશવ કેવું રહેંસાય છે, એ પણ જરા શિખવાડજો.
ઝાકળનું ટીપું ફૂલ પર બેસીને સૃષ્ટિને જુએ,
દર્શન એને કહેવાય છે, એ પણ જરા શિખવાડજો.
અંતે શીખીને બહુ બધું, ભુલી જવાનું હોય છે,
જે આવે છે એ જાય છે, એ પણ જરા શિખવાડજો..
●
હિતેન આનંદપરા
No comments:
Post a Comment