Monday, 9 October 2017

ગઝલ

વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય
મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય?

યમુનાનાં વહેણ તમે મૂંગાં છો કેમ? અને રાધાની આંખ કાં ઉદાસ?
વહી જતી આ લેરખી વ્યાકુળ કરે અહીં, સરતી આ સાંજનો ઉજાસ.
બ્હાવરી વિભાવરીનાં પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી ન્હાય..
મારા માધવને…

ઊડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે સાચવશું સુંવાળા રંગ,
મારી તે મોરલીના આભમાં ઊગે છે એક શ્યામના તે નામનો મયંક.
જળમાં તે તેજ એવું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય..
મારા માધવને…

– જગદીશ જોષી

No comments:

Post a Comment