Friday, 18 November 2016

ગઝલ

।।  ગઝલ।।

એ લોકો સૌને સાવ નશામાં રાખે છે,
વસ્તીને કાયમ એ જ દશામાં રાખે છે .

એના ઘરની જડતી લેવા આવ્યું ધાડું ,
જે થોડીક બચત એક ડબામાં રાખે છે.

એ કબૂલ કરે યા ના ય કરે, એની મરજી,
કોઈ કસર તું શાને દુઆમાં રાખે છે.

લીલું  હો  યા  સૂકું,  બંનેને  ફરકાવે ,
પવન ક્યાં કદીય ભેદ કશામાં રાખે છે.

કોઈ નથી આ જગમાં મારાથી ચડિયાતું,
કૈકને  એવો  ફાંકો  હવામાં  રાખે  છે .

સુખની તલાશમાં ચરણો દોડે જેના પર,
એ મારગ સૌને કેમ વ્યથામાં રાખે છે?

બ્હાર કશુંયે ના કાઢે, એ વાત અલગ છે,
નહિતર એ તો ઘણું ય ઝભ્ભામાં રાખે છે.

   ।। રાકેશ હાંસલિયા  ।।

No comments:

Post a Comment