Monday, 30 January 2017

ગઝલ

તું મારાં શ્ર્વાસમાં પળપળ ભલેને મારતો  ચક્કર
છતાં તારાંપણાંનો કોઇ  પૂરાવો તું દે ઇશ્વર

મને મ્હેંકાવવાં આ હદ સુધી તું જૈ શકે ઇશ્વર. ! ?
સજાવી સેજ ફૂલોની , તું ખુદ બનતો ગયો પથ્થર ! ?

તને હું ના ભૂલું એનું ય કારણ જાણ કારીગર
બનાવી જે જે તે રચના , હું એમાંની જ છું નકકર

અકળ છે જો બધું તો આ જગતનો ભેદ પણ તું  છે
કે શું પામરને, ને શું નશ્વર , બધાં પ્રશ્નોનો  તું ઉત્તર

ભલે રસ્તા અલગ હો પણ બધાં પ્હોંચે છે જયાં તું હો
બધાનાં નાચ પાછળનો , ખુદા તું એક છે મંતર

પ્રવાસી છું હું ભીતરની , ભલે મારગ વિકટ મારો
ઉપર ફોગટ આ ધબકારાં સતત નાખ્યાં કરે લંગર

કમળ પર શોભતું ઝાકળ સવારે શાનથી કહેતું
ઘડીભર મ્હેંકને પામી , હવે હું થૈ ગયું શંકર
----;;;;---કવયિત્રી - પ્રજ્ઞા વશી 

No comments:

Post a Comment