ઉન્માદ અવતરે છે, અવસાદ અવતરે છે
ગઝલો બનીને કેવા જઝબાત અવતરે છે.
પ્રત્યક્ષ હાજરીનો ના ખપ હવે લગીરે
ધારું હું તે ક્ષણે તું સાક્ષાત અવતરે છે.
કેવા ભળી ગયા છે એ પ્રેમમાં જુઓ તો
શીરીં લખું કે સાથે ફરહાદ અવતરે છે !
અવઢવમાં જ્યારે આવું ,સમજાય ના કશું પણ
તું પ્રેમનો બનીને આસ્વાદ અવતરે છે.
એથી નમન કરું છું કાગળ અને કલમને
બોલી શક્યા નહીં જે તે વાત અવતરે છે .
-શબનમ
No comments:
Post a Comment