Saturday, 4 November 2017

ગઝલ

પાછા ફરવાનો માર્ગ યાદ હોવો જોઈએ,
સાંજ પડે ત્યારે એક સાદ હોવો જોઈએ.

તૈયાર છું આ વૈશાખના તાપ સહેવા માટે,
પાછળ અષાઢનો વરસાદ હોવો જોઈએ.

મંદિરના ટોળાંમાં રહીને એ નહિ મળે,
એ માટે બસ હું માંથી 'હું' બાદ હોવો જોઈએ.

એ તો તૈયાર જ છે મદદ કરવા માટે,
બસ અર્જુન સમો વિષાદ હોવો જોઈએ.

પછી તો ભૂખ્યા કાનાનું ય પેટ ભરાય,
દાણો ભલે એક, ભાવ અમર્યાદ હોવો જોઈએ.

અમથા અઢાર અધ્યાય નથી ગીતાના,
બે વચ્ચે મૌન નહિ સંવાદ હોવો જોઈએ.

ડો. હિતેશ પટેલ 'હિત'

તરહી રચના

No comments:

Post a Comment