એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે!
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે!
આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે!
જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે!
ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે!
મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે!
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે!
– ‘નિરંકુશ’ કરસનદાસ
🌿
No comments:
Post a Comment