Sunday, 19 February 2017

ગઝલ

ઇચ્છાય વળી મરજાદી ક્યાં ઝટમાં બોલે,
બોલે તોપણ ક્યારે કૈં પરગટમાં બોલે.

ઝીણી ઝીણી રણઝણ એ પણ છાનીમાની,
ઝાંઝર પણ પડઘાઈને ઘૂંઘટમાં બોલે.

ઘરખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે,
આખી રાતનું અંધારું પનઘટમાં બોલે.

લાગણીઓની જાત જનમથી છે મિતભાષી,
વરસે અનરાધાર અને વાછટમાં બોલે.

સહુ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું,
એ ધારી કે કોઈ તો ઉપરવટમાં બોલે.

– જવાહર બક્ષી

No comments:

Post a Comment