Tuesday, 27 June 2017

ગઝલ

અણસમજના બોજને વેંઢારવામાં જીવવું ભૂલી ગયા;
કેમ છો; એવું પૂછ્યું જ્યાં કોઈએ ધડકનો ચૂકી ગયા.

ગડમથલ પણ ઉંબરે આવી અને પૂછી રહી એવું સતત--
બારણું ખુલ્લું મૂકીને આમ કાં એકાન્તને ઘૂટી ગયા?

એક વાતે એક મત સૌ કેળવી ચોક્કસ હતા કવિતા વિશે;
કોઈપણ ગંભીર કવિતા વાંચતાં- ઉકેલતાં ખૂલી ગયા.

કોઈએ હળવેક હાથે પીઠ પરથી હાથને પસવાર્યો ત્યાં--
પળવિપળમાં હોવું સઘળું એમને ચરણે તરત મૂકી ગયા.

કોઈની ઈચ્છા પ્રમાણે ચાલવું- લખવું કદી ફાવ્યું નહીં,
માર્ગ પોતીકે જ ચાલી આંખ પોતીકી જ લો; લૂછી ગયા.
11:52     ----- ગુણવંત ઉપાધ્યાય
27062017

No comments:

Post a Comment