પ્રથમ પંક્તિ સૌજન્ય શ્રી Niranjan Yagnik સર.
* * *
કંઇક બોલો સંતજી હોવાપણાનું શું કરું ?
શ્વાસના ભૂલા પડેલા કાફલાનું શું કરું ?
કેમ અટકાવું હું ખરતા જીર્ણ ગઢના કાંગરા ?
દુર્ગમાં દાટી દીધેલી ભવ્યતાનું શું કરું ?
આ નદી અશ્રુમતીનું પૂર ખાળું તો પછી,
લોહીના કાંઠે વસેલા ગામડાનું શું કરું ?
ટેરવાંથી થાય છે ક્યાં વ્યક્ત આ સંવેદના !
જન્મથી બહેરી અને મૂંગી ત્વચાનું શું કરું ?
આમ તો ક્ષણમાં ઉખેડી દઉં મને હું મૂળથી,
પણ હવે આ વિસ્તરેલા છાંયડાનું શું કરું ?
શું લખું મારા અને આ શબ્દના અંજળ વિશે ?
અંત છે આરંભમાં એવી કથાનું શું કરું ?
- બાબુલાલ ચાવડા 'આતુર'
No comments:
Post a Comment