Thursday, 15 March 2018

ગઝલ

સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
‘ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે.

આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં ?
દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે ?

જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !

આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !

હું મને નિર્દોષ મારી જાતમાં સાબિત કરું,
ત્યાં જ દફનાવી દીધેલો કોઈ ગુનો નીકળે.

નામ પર જેનાં અહીં ટોળાં જમા થઈ જાય છે,
એ જ ઈશ્વરનો હવે દરબાર સૂનો નીકળે.

– અર્પણ ક્રિસ્ટી

No comments:

Post a Comment