Sunday, 18 September 2016

ગઝલ

માગુ છું દુઆ કોઇથી વિખવાદ ન આવે,
સંવાદ વગર કોઇ બીજો સાદ ન આવે.

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે?
સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે.

એવું જો અહીં થાય તો ચિંતાનો વિષય છે,
બે જણને પ્રણયમાં કદી ફરિયાદ ન આવે.

વરદાન હવે એક મને એવું મળે બસ,
આબાદ કે બરબાદ છું એ યાદ ન આવે.

શાયર લખે તો શું લખે આ જિંદગીની વાત,
ગઝલોમાં સીધો આંસુનો અનુવાદ ન આવે.

ક્યારેય ખરીદી ન શક્યું કોઇ મરીઝાઇ,
નહિંતર તો મરીઝ શું બીજો એકાદ ન આવે?

 

No comments:

Post a Comment