ગઝલ
ભાગ્ય જાગી જાય તો શું પૂછવું ;
ઊંઘ આવી જાય તો શું પૂછવું.
હું હવામાં તીર છોડું ને પછી-
વાત ચાલી જાય તો શું પૂછવું.
પાંપણે ઊભાં રહેલા સ્વપ્નને;
આંખ ભાળી જાય તો શું પૂછવું.
અટકળોનાં ટોળેટોળા સામટા;
થાકી-હાંફી જાય તો શું પૂછવું.
આ વિચારો ઝાંઝવા પી પીને પણ;
તૃપ્તિ પામી જાય તો શું પૂછવું.
હાસ્ય ખોવાયું રમતમાં કોઈ એ-
પાછું આપી જાય તો શું પૂછવું.
રાતરાણીમાં નહાયેલો પવન;
ગીત ગાઈ જાય તો શું પૂછવું.
રીસમાં "નાશાદ" છે સોનલપરી;
એ જો માની જાય તો શું પૂછવું.
ગુલામ અબ્બાસ "નાશાદ"
No comments:
Post a Comment