Thursday, 20 October 2016

ગઝલ

ભીની ઝાકળ શા ઝળહળવાનું સુખ સૌને નથી મળતું,
કોઈ કારણ વગર મળવાનું સુખ સૌને નથી મળતું.

સતત વહેવું,બધું સહેવું,ન કાંઠાનેય કૈં કહેવું,
આ ઝરણા જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું.

ખરેલાં પાંદડાંના કાનમાં બસ એટલું કહેવું છે,
ઊગો એ માટીમાં ભળવાનું સુખ સૌને નથી મળતું.

વળાંકેથી વળી જાતા આ રસ્તાની વિન્ંતી છે ;
હજી પાછા વળો, વળવાનું સુખ સૌને નથી મળતું.

સળગતું આયખું મ્હેંકે અગરબત્તી શા અક્ષરમાં,
કવિતામાં આ ઓગળવાનું સુખ સૌને નથી મળતું.

~પ્રણવ પંડ્યા.

No comments:

Post a Comment