Monday, 2 January 2017

ગીત

મારે તો મોરપીંછ થાવું

અધરેથી છૂટી મોહનમુકુટે જા'વું,
સખી મારે તો મોરપીંછ થા'વું.

ઘેરી વળે રોજ કા'નાને ગોપીઓ નખરાળી
રેઢો ન મૂકે ઓલી લુચ્ચી રાધા લટકાળી
ને પાછી કે' છે વેણું કારણીયે હું આવું
સખી મારે તો મોરપીંછ થા'વું.

સાંભળીને મુજને ઘેલું એવું તો ગોકુળીયું થા'તું
મનેખ તો શું? મુંગું પશુય અળગું ન જા'તું
શી રીતે માધવને ભાનમાં હવે લાવું?
સખી મારે તો મોરપીંછ થા'વું.

ફૂંકે ન મુજને તો વનરાવન થાશે ન ઘેલું
મારા વ્હાલાનાં રંગમાં ઘેલી થૈ એકલી હું રેલું
હું તો હવે શ્યામનાં શિરે સોહાવું
સખી મારે તો મોરપીંછ થા'વું.

નરેન્દ્ર ચૌહાણ

No comments:

Post a Comment