Monday, 20 February 2017
ગીત
ઈર્ષ્યા ને અદેખાઈ ભાગું-ભાગું કરે,
ઓલો બિચારો, ક્રોધ ગિયો ભાગી !
જોયું જાગીને ઝટપટ,જયાં મેં તો,
બની ગયું 'તું, મારું મન જ વૈરાગી !
મારી કાયામાં નક્કી કોક પ્રવેશી ગયું,
અવગુણો મારા બધાં,એ રહેંસી ગયું.
વૈધવ્ય ભૂંસાયું મારું જન્મારાનું,
બની ગઈ આજે હું સોહાગી.
હરિને જીવતર મારું મેં સોંપ્યું,
રળતર બધુંયે મારું,આંગણામાં રોપ્યું.
નેણની કટોરીથી અમીરસ પીધું,
સમજું છું આજ હું મને બડભાગી !
પ્રીત્યુંની વેલ ઉછેરી અશ્રુજલથી,
પોઠને ઉગારી મેં મરુ સ્થળથી.
વરસ્યો પછી મન ભરીને રામલો,
ચરણોમાં જગા પામી આ અભાગી !
***
--કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment