સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો
તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો
બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે
ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો
શત્રુ તો ઉઘાડો છે છડેચોક દોસ્તો
મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો
શંકરની જેમ નાગને મફલર કરી શકો
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો
મંજિલ ‘ખલીલ’ આવશે રસ્તામા ક્યાંક પણ
સથવારો હોય એવી સફર ક્યાંથી લાવશો
– ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment