જેગવી દીધાં તન – ઊજમશી પરમાર
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.
સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય?
દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય;
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.
ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું,
નેવાં ઊઠી ડોકિયાં કરે, રોજનું આ તો થ્યું;
હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.
કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં;
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી, હઉં;
‘ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.
– ઊજમશી પરમાર
No comments:
Post a Comment