Wednesday, 22 February 2017

ગઝલ

રંગ પૂરતા ચિત્ર ધોળું થાય તો હું શું કરું?
દર્દ જો જાતે પટોળું થાય તો હું શું કરું?

એમને કહી દો કે સ્વપ્ને આવ-જા બહુ ના કરે!
આંખનું પાણી આ ડહોળું થાય તો હું શું કરું?

એક પારેવું જુઓ, હાથેથી ચિઠ્ઠી છીનવી,
એમને આપીને ભોળું થાય તો હું શું કરું?

જિંદગીએ એટલું કહી હાથને ઊંચા કર્યા!
સ્હેજ જો ખાટું કે મોળું થાય તો હું શું કરું?

જે અહીં આવ્યા, પથારા પાથરી બેસી ગયા!
આ હૃદય એથી જો પ્હોળું થાય તો હું શું કરું?

હું નિજાનંદે ગઝલ તાજી કોઈ લલકારતો-
એકલો બેઠો'તો,ટોળું થાય તો હું શું કરું?

: હિમલ પંડ્યા
  20-02-2017

* ગઝલના બાકીના શેર લાંબા સમયથી લખાયેલા હતા. મત્લાનો શેર કરી આપવા બદલ કવિમિત્ર ડો. મનોજ જોશી "મન"નો ખાસ આભાર.*

No comments:

Post a Comment