Thursday, 28 September 2017

ગઝલ

લોકશાહી કે લૂંટશાહી ? – કવિ દાદ.

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો,
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે ?

 કરી મુખ બંધ એના હાલ, તપેલાને તપાવો ના
 વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે ?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી પારી તમારી ક્યાં સુધી રહેશે ?

બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા,
ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે ?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો,
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે ?

વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે,
વધારે ડોઝ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે ?

ગયો છે ઘટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી,
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે ?

હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે ?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે ?

મહીં છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
 હવે ખોલો ? તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે ?

જરૂર છે રોટલાની, નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપીયા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે ?

શહીદનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરી પણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે ?

કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે ?

No comments:

Post a Comment