લોકશાહી કે લૂંટશાહી ? – કવિ દાદ.
વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો,
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે ?
કરી મુખ બંધ એના હાલ, તપેલાને તપાવો ના
વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે ?
સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી પારી તમારી ક્યાં સુધી રહેશે ?
બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા,
ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે ?
ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો,
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે ?
વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે,
વધારે ડોઝ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે ?
ગયો છે ઘટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી,
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે ?
હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે ?
સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે ?
મહીં છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
હવે ખોલો ? તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે ?
જરૂર છે રોટલાની, નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપીયા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે ?
શહીદનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?
નથી એને શરમ જરી પણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે ?
કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે ?
No comments:
Post a Comment