Sunday, 6 November 2016

ગઝલ

હા, ગઝલમાં તો લખાયું સો ટકા,
પણ લખીને ક્યાં જિવાયું સો ટકા ?

આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
આપણાથી ક્યાં મળાયું સો ટકા !

પારદર્શક થઈને જો તું એકવાર,
કોઈ લાગે નહિ પરાયું સો ટકા.

ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
ક્યાં હજી જાગી શકાયું સો ટકા !

ભૂલભૂલૈયા સમું આઅખું જગત,
બહાર ક્યારે નીકળાયું સો ટકા.

બોજ ઇચ્છાનો હતો એથી જ ને,
બોલ તારાથી હસાયું સો ટકા ?

વેશ બદલી રોજ એ તો નીકળે,
મન કદી ક્યાં ઓળખાયું સો ટકા !

- મહેશ દાવડકર

No comments:

Post a Comment