Sunday, 25 December 2016

ગઝલ

ઠગો ઇશ્વરને નામે અંધશ્રધ્ધા લાદતા રહેશે
હશે ખાલી જગા ત્યાં ત્યાં એ મૂર્તિ સ્થાપતા રહેશે*
                                                                  કે જેઓ માંદલા શ્ર્વાસે જ કાયમ ચાલતા રહેશે
બળદની જેમ જીવનઘૂંસરી હંકારતા રહેશે

બગીચા સીંચનારા તો સુવાસે તરબતર રહેશે
ફૂલોને રહેંસનારાઓ જ દુગઁધ ખાળતા
રહેશે

એ બાળક છે, તો બાળકને , બની રહેવા જ દો બાળક
નહીં તો મોટપણમાં એ જગત ધિક્કારતા રહેશે

સમય મુઠઠીમાં લૈ ને "હું ફરું" , કહેનાર પણ જૂઓ
સતત ઘડિયાળને કાંટે જીવનભર ભાગતા રહેશે

નથી જેણે પ્રમાણી જાત એવા રાવજાદાઓ
જગત કાજી બની બીજાની ભુલો કાઢતા રહેશે

ધણાંનાં બોલ તો જાણે કે પથ્થરની લકીરોં સમ
ધણાં એવા ય છે કે જે થૂંકેલું ચાટતા રહેશે
   કવયિત્રી -પ્રજ્ઞા વશી -----
       તરહી પંક્તિ - શ્રી ભરત વિંઝૂડા

No comments:

Post a Comment