Sunday, 25 December 2016

ગઝલ

લહેરે થીજી ગયેલું ઝરણ ખળ ખળે નહીં
શોધું છું કયાંય સૂર્યનું પગલું મળે નહીં

આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેલ
રાત્રિઓ ઉદાસીની છતાં કયાં ઢળે નહીં

આવા બુરા દિવસ છે તમારા ગયા પછી
બોલ્યા કરુ ને અર્થ કશો નીકળે નહીં

ખોવાયાં છે આપણે કયાં, કેમ શોધશું ?
અણસારનો દીવો કોઇ રસ્તે બળે નહીં.

રસ્તો રૂંધીને પાનખરોની તરસ ઊભી
લીલી ભીનાશ પાનમાં પાછી વળે નહીં.

ચીતરેલ વૃક્ષ જેવી મળી છે સભાનતા
ખરતું નથી કશું યે કે કંઇ પણ ફળે નહીં

સૌ પંખીઓ વળી ગયાં પોતાના નીડ ભણી
મારી ઉદાસ સાંજને માળો મળે નહીં

પથ્થરની મુર્તિ એટલા માટે મુકી હશે
કે કોઇ બંદગી એ કદી સાંભળે નહીં
- રમેશ પારેખ

No comments:

Post a Comment