Wednesday, 1 March 2017

ગઝલ

જો   બારણું   તૂટે   તો  સરખું  કરાય  પાછું,
વાતાવરણ  એ  ઘરનું  ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ  એ  ઓરડો  નથી કૈં,
કે મન પડે તરત  એમાં  જઈ  શકાય  પાછું.

હો  વૃદ્ધ  કોઈ  એને  દૂધિયા  જો  દાંત  ફૂટે,
તો  શક્ય  છે  કે  બાળક  જેવું થવાય પાછું.

કરમાઈ  જે  ગયું  છે  એ   પુષ્પને  ફરીથી,
એના  જ  મૂળ  રૂપે  ક્યાંથી  લવાય  પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને  અવાય  પાછું ?

એવી  જગાએ  આવી  થંભી  ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

-અનિલ ચાવડા

No comments:

Post a Comment