બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી :
એક પળ ખોવાઇ ગઇ છે બીજી સચવાતી નથી.
ઓ શિકારી ! પાંખ લીધી આંખ પણ લઇ લે હવે,
આભને જોયા પછીની પીડ સહેવાતી નથી.
હા કદી બિલકુલ અનાયાસે ગઝલ સર્જાય છે,
સો પ્રયત્નો બાદ પણ ક્યારેક સર્જાતી નથી.
ઇશ્વરે કાળા તમસ પર શ્યામ અક્ષરથી લખી,
વાત મારા ભાવિની મુજને જ વંચાતી નથી.
તું હવે તારી જ ગઝલો ભૂલવા લાગ્યો, ‘કિરણ’,
આટલી મૂડી છે તારી, એ ય સચવાતી નથી ?
– કિરણ ચૌહાણ
No comments:
Post a Comment