Thursday, 14 June 2018

ગઝલ

જીવાડશે--સંજુ વાળા 

કોઈને   સુખ  કોઈને   ન્યોછાવરી  જીવાડશે
અમને  કવિતા નામની   સંજીવની  જીવાડશે

અણસમજ ભમરાની યજમાની કરી  જીવાડશે
જાત   ઓઢાડી   કમળદળ-પાંખડી  જીવાડશે

શું  વધારે  જોઈએ ?  એક્ કાળજી  જીવાડશે
લખ  અછોવાનાં  બરાબર  લાગણી  જીવાડશે

હાથમાં હિંમત નથી ‘ને પગ તો પાણીપાણી છે
તો   હવે   શ્રદ્ધાની     ટેકણલાકડી  જીવાડશે

સાચાં-ખોટાંના   બધાયે   ભેદ તો  સાપેક્ષ  છે
શિર સલામત  નહીં  રહે તો પાઘડી  જીવાડશે

શું  લખું ? ક્યા શબ્દની આરાધના  કેવી કરું ?
ક્યા ખબર છે ! કઈ રીતે  બારાખડી  જીવાડશે

ચાલ,  થોડી   લીલી-સૂકી  સાચવીને  રાખીએ
કૈ  નહી તો  એ સ્મરણ, એ  દાબડી  જીવાડશે

('કવિતા નામે સંજીવની'માંથી - પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર - 2014!)

No comments:

Post a Comment