Sunday, 2 October 2016

ગઝલ

ઓલ્યુ… હિન્દીમાં કે’ છે ધિરે ધિરે યુ બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શુ સારવાં, જખ મારવા?

એ વખતમાં જો વિચાર્યુ હોત તો સારૂં હતુ, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવુ પાછુ બધુ વિચારવા?

હોય માથે પોટલુ તો એ તરત ભફ દઈ અને પડતુ કરૂં,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?

સાંભળ્યુ છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પિઠને પસવારવા.

ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનુ એક ટોળુ નીકળ્યુ છે સૂર્યને પડકારવા.

-અનિલ ચાવડા.

No comments:

Post a Comment