તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે,
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે.
અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને-
હતી ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે.
ક્ષણો જેવી મળી એવી સહજભાવે જ સ્વીકારી –
પ્રથમની હો કે આખરની, નિરાંતે એ જ ઊંઘે છે.
તમે ઈશ્વર વિશેના વાદમાં જાગ્યા કરો પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની, નિરાંતે એ જ ઊંઘે છે.
કબીરે શાળ પર બેસી કહ્યું : મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે.
પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદગાર બે માગ્યા
મજા જે લે છે અંદરની નિરાંતે એ જ ઊંઘે છે.
– *મનોહર ત્રિવેદી*
No comments:
Post a Comment