ઉજાસના આ પર્વમાં સૌ ને નોખું - અનોખું અજવાળું સાંપડે એ જ શુભકામના.
________________________________
થોડા-ઘણા તનાવથી અજવાળું થાય છે.
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.
જ્યાં મીણ કે બરફ થઈ ખુદને મળી શકો,
એવા બધા બનાવથી અજવાળું થાય છે.
સૂરજને ખોટું લાગશે, આ એક વાતથી,
અહિં ભાવ ને અભાવથી અજવાળું થાય છે.
છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.
સહમત બધી ય વાતમાં ના થઇ શકાય પણ,
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.
આ દર્દ, પીડા, વેદના જોતા રહી ગયા,
ખુશીઓની આવજાવથી અજવાળું થાય છે.
નડતા નથી સવાલ મને કાલના હવે,
આ આજના લગાવથી અજવાળું થાય છે.
------- લક્ષ્મી ડોબરિયા.
No comments:
Post a Comment