Tuesday, 6 March 2018

ગઝલ

થાક લાગ્યો છે હવે તો શ્વાસ લેવા દે,
જીવતરને મોતનો અહેસાસ લેવા દે.

શું હશે મનની દશા જો એ હશે પાસે,
એ પળોનો આ પળે આભાસ લેવા દે.

ચોતરફ અંધાર ફેલાયો નિરાશાનો,
આશનું એક જ કિરણ,અજવાસ લેવા દે.

જિંદગીભર જિંદગીએ ક્યાસ કાઢ્યો છે,
ઓ ખુદા આ જિંદગીનો ક્યાસ લેવા દે.

કૃષ્ણ પણ જોયા કરે બસ ભાન ભૂલીને,
આજતો એવો મને કંઈ રાસ લેવા દે.

આ ગઝલનો છંદ બેસે મેળમાં એથી,
લઘુગુરુમાં સ્હેજ તો અવકાશ લેવા દે.

કોઈ નહિ આવે હવે બસ એટલા માટે,
ચાલ પોતાના ખભે નિજ લાશ લેવા દે.

આ ભરી મહેફિલ મને 'તન્હા' જ રાખી ગઈ,
બસ હવે તનહાઈનો સહવાસ લેવા દે.

ડો. સુજ્ઞેષ પરમાર 'તન્હા'

No comments:

Post a Comment