સુખ તો સોહામણું છાયલ, ઓ વાલમા !
દુ:ખ તો ત્રોફેલ ડિલે છૂંદણું,
ઓલ્યું તો વાયરાની ઝાપટમાં ઊડે
આ રૂંવાડે કોર્યુ ભાઈબંધણું !
લિસ્સેરું અડકીને અળગું જે થાય
એની સરતા સમીર જેવી માયા,
અણિયાળું થઈને જે ઊતરતું અંગ અંગ
એના તો પ્રાણ સુધી પાયા !
સોનારે નહીં કોઈ મણિયારે નૈં,
આ તો જનમારે ઘડિયેલું ઝૂમણું.
નાગણના દીધેલા લીલાછમ ડંખ જેવું
જિંદગીની કાયા પર શોભતું,
ભવભવની વાટેથી વળગેલા રજકણની
એંધાણી થઈને એ ઓપતું !
આળખેલી પિયળ શું પળનું મે’માન નથી,
હરદમ ઝિલમિલ થતું ઈંધણું !
– ભાનુપ્રસાદ પંડ્યા
No comments:
Post a Comment