ચાંદ જેવો ચાંદ ઠારી-ઠારીને જોતાં હશે,
જે સૂરજને રોજ ધારી-ધારીને જોતાં હશે !
જેમ હું જોયા કરું છું એનાં ઘરનાં બારણાં,
ચોરી-ચોરી એય મારી બારીને જોતાં હશે.
સાધુતામાં કૈંક જો ખૂટી પડે ક્યારેક તો,
સાધુ પણ ત્યાં છેવટે સંસારીને જોતાં હશે.
કેકની દુકાનને જોતાં ગરીબડાં બાળકો-
મનને કેવું સાવ મારી-મારીને જોતાં હશે !
આજ એ છો મોં બગાડે પણ લખી લેજો 'નિનાદ'
એક દિવસ આરતી ઊતારીને જોતાં હશે !
- નિનાદ અધ્યારુ
No comments:
Post a Comment